Thu Dec 18 2025

Logo

White Logo

પાકિસ્તાને ભારત વિરુદ્ધ ફરી ઝેર ઓક્યું, : સાર્કની નિષ્ક્રિયતા અંગે મુક્યો આ આક્ષેપ

6 days ago
Author: Chandrakant Kanoja
Video

ઇસ્લામાબાદ : પાકિસ્તાને ફરી એક વાર સાર્કની નિષ્ક્રિયતા અંગે ભારત પર આક્ષેપ કર્યો છે. જેમાં પાકિસ્તાને કહ્યું છે કે ભારત સીમા પારના આતંકવાદ અને કાશ્મીર જેવા મુદ્દાઓને આગળ ઘરીને સાર્કને નિષ્ક્રિય કર્યું છે. જયારે ભારતને કહેવું છે આતંકવાદના આ માહોલમાં સાર્કમાં આગળ વધી શકાય તેમ નથી અને પાકિસ્તાને શાંતિનો માહોલ બનાવવો પડશે. જયારે પાકિસ્તાને દક્ષિણ એશિયા દેશો માટે ભારતના વિરોધમાં નવા ક્ષેત્રીય સંગઠનની રચનાનો પ્રસ્તાવ પણ મુક્યો છે. તેમજ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાકિસ્તાન ચીન અને બાંગ્લાદેશ સાથે એક નવા પ્રાદેશિક સંગઠનનારચના માટે યોજના તૈયાર કરી રહ્યું છે.

બંને દેશો વચ્ચે ફરી એક વાર તણાવ વધી શકે છે

જોકે, પાકિસ્તાનના આ નિવેદનથી બંને દેશો વચ્ચે ફરી એક વાર તણાવ વધી શકે છે.  જેમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર હુસૈન અંદ્રાબીએ આક્ષેપ કર્યો કે  ભારત સતત સાર્ક પ્રક્રિયામાં અવરોધ ઉભો કરી રહ્યું છે જેના લીધે  સંગઠન તેની સાચી ભૂમિકા ભજવી શકતું નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે ભારત  ઘણીવાર ખોટો પ્રચાર કરે છે કે સાર્ક આગળ વધી શકતું નથી કારણ કે આ કાર્યક્રમ ઇસ્લામાબાદમાં યોજાવાનો હતો. પાકિસ્તાનના મતે આ પહેલી વાર નથી બન્યું. ભારતે વર્ષ 1990ના દાયકામાં પણ  સાર્ક સમિટને પણ અવરોધિત કરી હતી.

વર્ષ  2014 માં કાઠમંડુ સમિટ બાદ એક પણ બેઠક યોજાઈ નથી 

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ એશિયા દેશોના સંગઠન સાર્કમાં આઠ દેશોનો સમાવેશ થાય છે. જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, માલદીવ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન છે.  એક સમયે દક્ષિણ એશિયાનો અવાજ માનવામાં આવતો આ ફોરમ છેલ્લા દસ વર્ષથી સ્થિર છે. વર્ષ  2014 માં કાઠમંડુ સમિટ બાદ દર બે વર્ષે યોજાવાની બેઠકો યોજાઈ નથી. આનું મુખ્ય કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત બગડતા સંબંધો હોવાનું માનવામાં આવે છે.

પાકિસ્તાને પહેલા પ્રદેશમાં શાંતિનું વાતાવરણ સ્થાપિત  કરવું પડશે 

જોકે, હાલમાં પાકિસ્તાનના આ નિવેદન પર ભારત તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. પરંતુ ભારતે અગાઉ કહ્યું છે કે સરહદ પાર આતંકવાદના વાતાવરણમાં સાર્કને આગળ વધારી શકાય તેમ નથી. ભારતનું કહેવું છે કે નવી સાર્ક બેઠક શક્ય બને તે પહેલાં પાકિસ્તાને પહેલા પ્રદેશમાં શાંતિનું વાતાવરણ સ્થાપિત કરવું પડશે.